ચકલીનું ચીં ચીં -ધનંજય ગૌતમ
એક દિવસ હું અમદાવાદના અત્યંત ગીચ વિસ્તારમાંથી મારા એક મિત્ર સાથે પસાર થતો હતો. બપોરનો રિસેસનો સમય હતો અને રસ્તો માનવીઓથી ઊભરાતો હતો. ગાડીઓ સતત હોર્ન વગાડ્યા કરે અને બસોનું કર્કશ ભોં ભોં તો ખરું જ ! સ્કૂટરો અને રિક્ષાઓ ભારે ઘોંઘાટ સાથે જાણે કે સૌથી આગળ નીકળી જવાની હરીફાઈ કરતાં હોય એમ ભીડ વચ્ચે ચિત્રવિચિત્ર અવાજો કરતાં દોડતાં હતાં. માણસને બહેરો બનાવી મૂકે એટલો બધો શોરબકોર હતો.
એકાએક જ મિત્ર ભીડ વચ્ચે ઊભો રહ્યો અને બોલ્યો : ‘મને ચકલીના બચ્ચાનો ચીં ચી અવાજ સંભળાય છે.’
‘શું ? કંઈ ગાંડો તો નથી થઈ ગયોને ? આટલા બધા કોલાહલમાં તને ચીં ચીં અવાજ સંભળાય જ કેવી રીતે ?’
મિત્રે કાન માંડ્યા અને બોલ્યો : ‘મને ખાતરી છે. મેં ચકલીના બચ્ચાનો અવાજ સાંભળ્યો જ છે.’ કહેતો કહેતો એ તો માણસો અને વાહનોની ભીડ ચીરીને બાજુના ફૂટપાથ ઉપરના એક ખખડધજ વૃક્ષ નીચે ગયો અને થડના એક ખાંચામાં પડી ગયેલા ચકલીના બચ્ચાને હળવેકથી ઉપાડી એના માળામાં ગોઠવી દીધું ! આશ્ચર્યથી સ્તબ્ધ બની હું બોલી ઊઠ્યો : ‘આ તો અસંભવ છે. તારી પાસે કોઈ દૈવી શ્રવણશક્તિ લાગે છે.’ ‘એવું નથી. મારા કાન તારા કાન જેવા જ છે. તમે શું સાંભળવા માગો છો એના ઉપર બધો આધાર છે.’ મિત્રે સમજાવ્યું.
‘એવું તો ન જ હોઈ શકેને ? આટલા બધા ઘોંઘાટમાં ચકલીના બચ્ચાનું ચીં ચીં હું તો કદી ન સાંભળી શકું.’ મેં કહ્યું.
‘મારી વાત તદ્દન સાચી છે. તમારે માટે મહત્વનું શું છે એના ઉપર સાંભળવા ન સાંભળવાનો આધાર છે. ચાલ હું તને હમણાં જ ખાતરી કરાવું.’ મિત્રે કહ્યું. એણે રસ્તામાં ચાલતાં ચાલતાં જ ખિસ્સામાંથી થોડુંક પરચૂરણ કાઢ્યું અને સમજણપૂર્વક થોડાક સિક્કા રસ્તાની બાજુએ પાડી નાખ્યા ! રસ્તા ઉપરની લોકોની ભારે અવરજવર અને કાન ફાડી નાખે એવા વાહનોના ઘોંઘાટ વચ્ચે પણ વીસેક ફૂટના અંતરમાં તમામ વ્યક્તિઓ એકાએક ઊભી રહી અને તપાસ કરી લીધી કે પૈસા પોતાના ખિસ્સામાંથી તો પડી ગયા નથીને ! ‘જોયું, હું શું કહેવા માગતો હતો તે ?’ મિત્રે પૂછ્યું, ‘તમારે માટે મહત્વનું શું છે તેના ઉપર જ બધો આધાર છે.’
સંતો અને મહાત્માઓ કહેતા હોય છે કે ભીતરમાં રહેલા માંહ્યલાને સાંભળો, અંતરાત્માને સાંભળવાનો અભ્યાસ કરો. પરંતુ આપણા હૃદયમાં એટલા બધા ઘોંઘાટો ભર્યા છે કે આપણે એ અવાજ સાંભળી શકતા નથી. હૃદયના અન્ય ઘોંઘાટ દૂર કરીએ અને આત્માના અવાજને જ મહત્વ આપીએ તો એ સ્પષ્ટ સંભળાય. એ સાંભળતા થઈએ તો કેવું સારું, સાચું ને ?
http://www.readgujarati.com/sahitya/?p=1515
E. mail Courtsey: Parimal Rathod
Saras Story…
Mind Blowing…
“તમારે માટે મહત્વનું શું છે એના ઉપર સાંભળવા ન સાંભળવાનો આધાર છે.”
“હૃદયના અન્ય ઘોંઘાટ દૂર કરીએ અને આત્માના અવાજને જ મહત્વ આપીએ તો એ સ્પષ્ટ સંભળાય.”
હવે પૈસાનો રણકાર તો એ નાયેગ્રા ધોધમાં પડે તો પણ સંભળાય !! ..સુંદર બોધકથા.
વિજયભાઇ, આવકાર બદલ આભાર,
પરંતુ મારો બ્લોગ એ યાદીમા દેખાતો કેમ નથી?
હું માનવી માનવ થાઉ તો ઘણુ.
આટલા કોલાહલ / ઘોંઘાટ , આટ્લી ભીડ વચ્ચે માનવ સંવેદના અકબંધ રહે તો માણસમાં માણસાઇ ટકે.
સરસ વાત.